સાબરકાંઠા જિલ્લા પોલીસ વડાની કડક કાર્યવાહી: NDPS કેસમાં એક અને ચિઠોડા લોકઅપ બેદરકારીમાં બે પોલીસ કર્મીઓ સસ્પેન્ડ

શીતલ ઠાકર,ગાંધીનગર
સાબરકાંઠા જિલ્લામાં પોલીસ તંત્રમાં શિસ્ત અને પારદર્શિતા જાળવવા જિલ્લા પોલીસ વડા દ્વારા કડક અને નિષ્પક્ષ કાર્યવાહી કરવામાં આવી છે. “કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો” જેવા સ્પષ્ટ સંદેશ સાથે એક મહિલા સહિત કુલ ત્રણ પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, જેના કારણે પોલીસ વિભાગમાં જવાબદારીનો સંદેશ પહોંચ્યો છે.
પ્રાપ્ત માહિતી મુજબ ચિઠોડા પોલીસ સ્ટેશન ખાતે એક આરોપી લોકઅપમાંથી ફરાર થઈ જવાની ગંભીર બેદરકારી સામે આવી હતી. આ મામલે જવાબદારી નિશ્ચિત કરીને એક મહિલા પોલીસ કર્મચારી સહિત બે પોલીસ કર્મીઓ સામે કાર્યવાહી કરી તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
આ ઉપરાંત હિંમતનગરના બી ડિવિઝન પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ સામે પણ ગંભીર આરોપો સામે આવ્યા છે. સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા-વિરમગામ હાઈવે પર એક તબીબને NDPS કેસમાં ફસાવવાની ધમકી આપી પતાવટના બહાને નાણાંની માંગણી કરનાર ટોળકીમાં હિંમતનગર બી ડિવિઝનના પોલીસ કોન્સ્ટેબલ વૈભવસિંહ મહેન્દ્રસિંહ વાઘેલા અને હોમગાર્ડ આસિફ ઈકબાલસા દિવાનની સંડોવણી બહાર આવી હતી.
બંનેને ઝડપી લેવામાં આવ્યા બાદ જિલ્લા પોલીસ વડા દ્વારા કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરવાનો હુકમ આપવામાં આવ્યો છે. આ કાર્યવાહી સ્પષ્ટ દર્શાવે છે કે કાયદાની અવગણના અને ફરજમાં બેદરકારી માટે કોઈપણ પ્રકારની છૂટછાટ આપવામાં નહીં આવે અને પોલીસ તંત્રમાં શિસ્ત જાળવવા કડક પગલાં લેવાતા રહેશે.




