તેરા તુજકો અર્પણ અંતર્ગત સાબરકાંઠા પોલીસે ૩૪.૮૦ લાખના ગુમ થયેલા ૧૧૬ મોબાઈલ મુળ માલિકોને પરત કરાયા સાયબર ફ્રોડનો ભોગ બનેલ બે જણાને રૂ.૮.૪૯ લાખનું રિફંડ અપાયું

સાબરકાંઠા પોલીસે હિંમતનગર પોલીસવડા કચેરી ખાતે મંગળવારે યોજાયેલ તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત રૂ.૩૪.૮૦ લાખના ૧૧૬ મોબાઈલો મુળ માલિકોને પરત કર્યા હતા તથા છેતરપિંડીનો ભોગ બનેલ બે જણાને પણ રૂ.૮.૪૯ લાખ પરત કર્યા છે. પોલીસ હેડક્વાર્ટર ખાતે જિલ્લા પોલીસ વડા ડૉ.પાર્થરાજસિંહ ગોહિલના અધ્યક્ષસ્થાને કાર્યક્રમ અંતર્ગત અંદાજે રૂ.૪૩.ર૯ લાખનોે મુદ્દામાલ પરત કરતાં ભોગ બનનાર લોકોએ પોલીસની કામગીરીની સરાહના કરી હતી.

તેરા તુજકો અપર્ણ કાર્યક્રમ અંતર્ગત સાબરકાંઠામાં છેલ્લા સવા મહિનામાં જિલ્લાના આઠ તાલુકાના ૧૪ પોલીસ સ્ટેશનોમાં નોંધાયેલા ગુમ થયેલા મોબાઈલ ફોન પોલીસે શોધી કાઢયા હતા. પોલીસે સર્વેલન્સની મદદથી હિંમતનગરથી ૪૦૦ કિલોમીટર દૂરથી પણ આ મોબાઈલ ફોન ટ્રેક કરીને પરત મેળવ્યા હતા. મંગળવારે યોજાયેલા આ કાર્યક્રમમાં જિલ્લા પોલીસ વડા ડૉ.પાર્થરાજસિંહ ગોહિલ, હેડક્વાર્ટર ડીવાયએસપી પાયલ સોમેશ્વર, હિંમતનગર ડીવાયએસપી એ.કે. પટેલ, ઇડર ડીવાયએસપી સ્મિત ગોહિલ અને ખેડબ્રહ્મા ડીવાયએસપી કુલદીપ નાયીના હસ્તે માલિકોને તેમના ગુમ થયેલા મોબાઈલ અને છેતરપિંડીમાં ગુમાવેલા નાણાં સુપરત કરવામાં આવ્યા હતા. જેના લીધે ભોગ બનનાર રહીશોએ પોલીસની કામગીરીની સરાહના કરી ભરપેટ વખાણ કર્યા હતા.




