હિંમતનગરમાં સ્ટોર્મ વોટર લાઈનના કામ દરમિયાન પાણીની પાઈપલાઈન તૂટી મહાવીરનગર ચાર રસ્તા નજીક કાદવ-કીચડથી વાહનચાલકો અને રાહદારીઓ પરેશાન

સાબરકાંઠા જિલ્લામાં હજુ સુધી સારો વરસાદ ન પડતાં લોકો વરસાદની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ત્યારે ગુરુવારે હિંમતનગરના મહાવીરનગર ચાર રસ્તા નજીક સ્ટોર્મ વોટર લાઈનની કામગીરી દરમિયાન અચાનક પાણીની પાઈપલાઈન તૂટી જતાં રોડ પર પાણી ફરી વળ્યું હતું. પરિણામે સમગ્ર વિસ્તારમાં કાદવ-કીચડ સર્જાતા વાહનચાલકો અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
મળતી માહિતી મુજબ હિંમતનગર નગરપાલિકા દ્વારા બેરણા રોડ પર વરસાદી પાણીના નિકાલ માટે છેલ્લા ત્રણ મહિનાથી સ્ટોર્મ વોટર લાઈનનું કામ ચાલી રહ્યું છે. બ્રહ્માકુમારીઝ કેન્દ્રથી શરૂ થયેલી આ કામગીરી હાલ મહાવીરનગર ચાર રસ્તા સુધી પહોંચી અંતિમ તબક્કામાં છે. ગુરુવારે સવારે અહીં ખોદકામ દરમિયાન અચાનક પાણીની મુખ્ય પાઈપલાઈન તૂટી જતાં પાણી ખાડામાં ભરાઈ ગયું હતું.
ત્યારબાદ કામગીરી ચાલુ રાખવા માટે જેસીબીની મદદથી ખાડામાં ભરાયેલું માટી મિશ્રિત પાણી રોડ પર કાઢવામાં આવતા સમગ્ર વિસ્તારમાં કાદવ-કીચડ ફેલાઈ ગયો હતો. રોડની બંને બાજુ ખોદકામ અને માટીના ઢગલાને કારણે માર્ગ સાંકડો બન્યો હતો, જેના કારણે વાહનચાલકોને ધીમે ગતિએ પસાર થવાની ફરજ પડી હતી. રાહદારીઓને પણ કાદવમાંથી પસાર થવું પડતાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
નગરપાલિકા દ્વારા વરસાદી પાણીના નિકાલની સુવિધા માટે હાથ ધરાયેલી સ્ટોર્મ વોટર લાઈનની કામગીરી પૂર્ણ થયા બાદ તેનો લાભ મળશે, પરંતુ હાલ ચાલી રહેલી કામગીરીને કારણે મહાવીરનગર ચાર રસ્તા વિસ્તારમાં રોજિંદા અવરજવર કરતા લોકો માટે અગવડતા ઉભી થઈ છે. સ્થાનિકોએ કામગીરી ઝડપથી પૂર્ણ કરી રસ્તો પૂર્વવત્ કરવા તેમજ સુરક્ષાની પૂરતી વ્યવસ્થા ગોઠવવાની માંગ કરી છે.





