સંસ્કાર ભારતી દ્વારા ગુરુપૂર્ણિમા નિમિત્તે કલા સાધકો અને શિક્ષણક્ષેત્રના અગ્રણીઓનું સન્માન

સંસ્કાર ભારતી સાબરકાંઠા જિલ્લા દ્વારા ગુરુપૂર્ણિમાના પાવન અવસરે દર વર્ષની પરંપરા મુજબ સમાજના કલા સાધકોનું ગુરુપૂજન કરી તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. આ વર્ષની ઉજવણી વિદ્યાનગરી શૈક્ષણિક સંકુલના કોન્ફરન્સ હોલમાં વિદ્યાર્થીઓની મોટી ઉપસ્થિતિ વચ્ચે ભવ્ય રીતે યોજાઈ હતી.

કાર્યક્રમ દરમિયાન જાણીતા વાયોલિન વાદક શ્રી અરવિંદ નાદરિયા, ભવાઈ નિષ્ણાત અને સંગીતકાર શ્રી હેમંતભાઈ કવિ, તબલાવાદક અને સંગીતકાર શ્રી ગુલાબભાઈ ઉસ્તાદનું સન્માન કરવામાં આવ્યું હતું. ઉપરાંત સાહિત્ય અને શિક્ષણ ક્ષેત્રે નોંધપાત્ર યોગદાન બદલ વિદ્યાનગરી શૈક્ષણિક સંકુલના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી ડી. એલ. પટેલનું વિશેષ સન્માન કરવામાં આવ્યું.
કાર્યક્રમનું આયોજન સંસ્કાર ભારતીના જિલ્લા અધ્યક્ષ નિરંજન શર્માના માર્ગદર્શન હેઠળ મહામંત્રી ઈલાબેન રાવલ, કોષાધ્યક્ષ ગજેન્દ્રસિંહ રાજપુરોહિત તથા સમગ્ર ટીમના સહયોગથી સફળતાપૂર્વક પૂર્ણ થયું હતું.
આ પ્રસંગે સંસ્કાર ભારતીના સભ્યો રાજુ લીમ્બાચીયા, કમલ લાયક, મહેન્દ્ર પંડ્યા, ડો. મહેન્દ્ર સોની, પ્રાંત જિલ્લા અધ્યક્ષ જગદીશ જોશી, સોનલબેન શર્મા અને સીમા રાજપુરોહિત સહિત અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમના સફળ આયોજન બદલ સંસ્કાર ભારતી તરફથી વિદ્યાનગરી શૈક્ષણિક સંકુલના ડો. અરવિંદભાઈ પટેલ, કનુભાઈ પટેલ, પ્રકાશભાઈ અને મહેન્દ્રભાઈ પટેલનો વિશેષ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. ગુરુપૂર્ણિમાના આ પાવન અવસરે યોજાયેલ આ સન્માન સમારોહે કલા, સંસ્કૃતિ અને ગુરુ-શિષ્ય પરંપરાના મૂલ્યોને વધુ મજબૂત બનાવવાનો સંદેશ આપ્યો.



