હિંમતનગરમાં સંગઠન પ્રભારીની ઉપસ્થિતીમાં જિલ્લા ભાજપ દ્વારા પરિચય બેઠક યોજાઈ
સાબરકાંઠામાં યોજાનાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્વે સંગઠન સક્રિય

જીગ્નેશ સોની હિંમતનગર
રાજ્ય ચૂંટણીપંચ દ્વારા ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં ચૂંટાયેલા પદાધિકારીઓની મુદત પૂર્ણ થવાને આડે ગણતરીના દિવસો બાકી છે ત્યારે ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા તાજેતરમાં જિલ્લાઓમાં સંગઠન પ્રભારીની નિયુક્ત કર્યા છે દરમ્યાન આગામી સમયમાં યોજાનાર સાબરકાંઠાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પૂર્વે શનિવારે જિલ્લાના સંગઠન પ્રભારીએ હિંમતનગર સહિત સાબરકાંઠામાં સંગઠનમાં સમાવિષ્ટ કરાયેલ હોદ્દેદારો સાથે પરીચય બેઠકનું હિંમતનગરમાં આયોજન કરાયું હતુ.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈને પ્રદેશ ભાજપ દ્વારા સાબરકાંઠા જિલ્લાના સંગઠન પ્રભારી ગજેન્દ્રભાઈ સકસેનાની મોરબીના પ્રભારી બનાવ્યા છે તો બીજી તરફ બોટાદના બ્રિજરાજસિંહ ઝાલાની સાબરકાંઠા જિલ્લાના સંગઠન પ્રભારી તરીકે નિયુક્ત કર્યા છે. જેથી તેમણે શનિવારે હિંમતનગર ખાતે જિલ્લા ભાજપ સંગઠનની પરિચય બેઠક યોજી હતી. જેમાં તમામ મંડલના પ્રમુખ,મહામંત્રી, વિવિધ મોરચાના હોદ્દેદારો તેમજ જિલ્લા સંગઠનના હોદ્દેદારો સાથે પરિચય બેઠકમાં સાબરકાંઠાના પ્રભારીએ જણાવ્યું હતુ કે તમે બધા અહીં જૂના અને સિનિયર કાર્યકર્તાઓ છો.જેથી સાબરકાંઠામાં યોજાનાર નગરપાલિકા,તાલુકા પંચાયતો તથા જિલ્લા પંચાયતની બેઠકો પર ભાજપના ઉમેદવારોને વિજયી બનાવવાના છે. જેને ધ્યાનમાં રાખીને તમામે કામ કરવાનું છે.આપણું સંગઠન અને રાજ્ય અને કેન્દ્ર સરકારે કરેલા ઐતિહાસિક કામોના કારણે આપણી સામે કોઈને બોલવાની હિંમત નથી.હમણાં તો પ્રદેશ ભાજપની સૂચનાથી ચૂંટણીને લગતી જે કંઈ સૂચનાઓ આવે તે પ્રમાણે આપણે કામ કરવાનું છે. ઉપરાંત તેમણે સંગઠનની કામગીરી અને જવાબદારી અંગે જાણકારી આપી હતી. આ પરીચય બેઠકમાં જિલ્લા ભાજપ પ્રમુખ કનુભાઈ પટેલ, મંત્રી પ્રદિપસિંહ રાઠોડ, મહામંત્રી પ્રેમલ દેસાઈ, બીપીન ઓઝા, ગણપતસિંહ ઝાલા, મહેન્દ્રસિંહ રહેવર,લોકેશ સોલંકી,જયંતિ પટેલ સહિત અન્ય હોદ્દેદારો હાજર રહ્યા હતા




