હિંમતનગરમાં મુખ્ય માર્ગો પર રિક્ષા પાર્કિંગની સમસ્યાથી ટ્રાફિક વ્યવસ્થા પ્રભાવિત

હિંમતનગર શહેરમાં રિક્ષા ચાલકોના આડેધડ પાર્કિંગ અને ટ્રાફિક સમસ્યાને લઈને સ્થાનિક લોકોમાં ચિંતા જોવા મળી રહી છે. ખાસ કરીને ગાયત્રી મંદિર પાસે આવેલ હસ્તિનાપુર પ્લાઝા, સરકારી જીન, જૂની જિલ્લા પંચાયત બસ સ્ટેન્ડ તેમજ ગાયત્રી મંદિર રોડ જેવા મુખ્ય માર્ગો ઉપર રિક્ષા ચાલકો દ્વારા કાયમી અડ્ડા જમાવવામાં આવતા વાહનચાલકો અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
સ્થાનિકોના જણાવ્યા મુજબ નગરપાલિકા દ્વારા શહેરમાં યોગ્ય રિક્ષા પાર્કિંગ અથવા સ્ટેન્ડની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી નથી. જેના કારણે રિક્ષા ચાલકો રસ્તા પર જ વાહનો ઉભા રાખી દે છે અને ટ્રાફિક જામ જેવી પરિસ્થિતિ સર્જાય છે. વ્યસ્ત વિસ્તારોમાં સતત ઉભી રહેતી રિક્ષાઓને કારણે સામાન્ય જનતાને અવરજવર કરવામાં મુશ્કેલી પડી રહી છે તેમજ અકસ્માતનો ભય પણ વધ્યો છે.
લોકોનો આક્ષેપ છે કે નગરપાલિકા અને સંબંધિત તંત્ર દ્વારા યોગ્ય આયોજન તથા કડક કાર્યવાહી કરવામાં ન આવતા સમસ્યા દિવસેને દિવસે ગંભીર બની રહી છે. સ્થાનિકોએ વધુમાં જણાવ્યું હતું કે પોલીસ તંત્ર દ્વારા નિયમિત ડ્રાઇવ ચલાવી ટ્રાફિક વ્યવસ્થા સુચારૂ કરવામાં આવે તેવી જરૂરિયાત છે.
હાલ સ્થાનિક લોકોએ માંગ કરી છે કે પોલીસ અને નગરપાલિકા સંયુક્ત રીતે કાર્યવાહી કરીને મુખ્ય માર્ગો ઉપર થતા ગેરવ્યવસ્થિત રિક્ષા પાર્કિંગ દૂર કરે તેમજ શહેરમાં નિયમિત અને વ્યવસ્થિત રિક્ષા સ્ટેન્ડની સુવિધા ઉભી કરવામાં આવે જેથી ટ્રાફિક સમસ્યાનો કાયમી ઉકેલ આવી શકે.




