સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના દેરોલ ગામમાં મહિલાની કરાઈ હત્યા, મંદિર પરિસરમાંથી લાશ મળતા ચકચાર

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના દેરોલ ગામમાં મહિલાની હત્યાની ઘટના સામે આવતા વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. દેરોલ ગામમાં આવેલ મંદિર પરિસરમાંથી એક મહિલાની હત્યા કરાયેલ હાલતમાં લાશ મળી આવતા સ્થાનિકોમાં ભય અને અરેરાટીનો માહોલ સર્જાયો હતો.
પ્રાથમિક માહિતી મુજબ મહિલાના માથાના ભાગે બોથડ પદાર્થ વડે ઘા મારી હત્યા કરવામાં આવી હોવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવી રહ્યું છે. ઘટના અંગે જાણ થતા હિંમતનગર ગ્રામ્ય પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને સમગ્ર વિસ્તારને કોર્ડન કરી તપાસ હાથ ધરી હતી.
પોલીસ દ્વારા મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સાથે જ હત્યા પાછળનું કારણ શું છે અને આ બનાવમાં સંડોવાયેલ અજાણ્યા આરોપી સુધી પહોંચવા માટે પોલીસે વિવિધ દિશામાં તપાસ શરૂ કરી છે.
દેરોલ ગામમાં બનેલી આ ગંભીર ઘટનાને લઈને ગ્રામજનોમાં ભારે ચિંતા અને રોષનો માહોલ જોવા મળી રહ્યો છે.




