હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ચાંદીપુરા વાયરસનો કહેર: ૭ શંકાસ્પદ કેસ, ૩ના મોત, ૨ સારવાર હેઠળ

હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ અને પુષ્ટિ થયેલા કેસોને લઈને ચિંતાજનક સ્થિતિ સામે આવી છે. ૨૬ જૂનથી અત્યાર સુધીમાં કુલ સાત દર્દીઓ સારવાર માટે હોસ્પિટલમાં દાખલ થયા હતા. જેમાંથી ત્રણ દર્દીઓના મોત થયા છે, જ્યારે એક દર્દી સ્વસ્થ થઈ ડિસ્ચાર્જ થયો છે, એક દર્દી સારવાર અધૂરી છોડી ગયો છે અને હાલ બે દર્દીઓ સારવાર હેઠળ છે. જોકે મૃત્યુ પામેલા ત્રણ દર્દીઓમાંથી માત્ર એક દર્દીનો ચાંદીપુરા વાયરસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. એક દર્દીનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો, જ્યારે અન્ય એક દર્દીનો રિપોર્ટ હજુ પેન્ડિંગ છે.
હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ૨૬ જૂનના રોજ ચાંદીપુરા વાયરસનો પ્રથમ શંકાસ્પદ દર્દી દાખલ થયો હતો. જોકે બીજા જ દિવસે એટલે કે ૨૭ જૂને દર્દીનું મોત થયું હતું. બાદમાં આવેલા રિપોર્ટમાં દર્દીનો ચાંદીપુરા વાયરસનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો.
ત્યારબાદ ૨૮ જૂનના રોજ બીજો દર્દી સારવાર માટે દાખલ થયો હતો. સારવાર દરમિયાન તબિયતમાં સુધારો થતાં ૭ જુલાઈના રોજ તેને સ્વસ્થ જાહેર કરી ડિસ્ચાર્જ કરવામાં આવ્યો હતો.
૩ જુલાઈના રોજ ત્રીજો દર્દી હોસ્પિટલમાં દાખલ થયો હતો, પરંતુ એ જ દિવસે તેનું મોત થયું હતું. આ દર્દીના સેમ્પલનો રિપોર્ટ ચાંદીપુરા વાયરસ પોઝિટિવ આવ્યો હતો.
જ્યારે ૮ જુલાઈના રોજ દાખલ કરાયેલા અન્ય એક દર્દીનું પણ એ જ દિવસે મોત થયું હતું. જોકે આ દર્દીના સેમ્પલનો રિપોર્ટ હજુ પેન્ડિંગ છે.
આ ઉપરાંત ૮ અને ૯ જુલાઈના રોજ દાખલ થયેલા બે દર્દીઓ હાલમાં હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. બંને દર્દીઓના સેમ્પલ પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા છે અને તેમના રિપોર્ટની રાહ જોવાઈ રહી છે.
૨૬ જૂનથી અત્યાર સુધી કુલ સાત દર્દીઓ સારવાર માટે હોસ્પિટલમાં દાખલ થયા હતા. જેમાં એક દર્દીનો ચાંદીપુરા વાયરસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ તેનું મોત થયું છે, એક મૃત્યુ પામેલા દર્દીનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે અને અન્ય એક મૃત્યુ પામેલા દર્દીનો રિપોર્ટ હજુ પેન્ડિંગ છે. હાલ સારવાર હેઠળ રહેલા બંને દર્દીઓના રિપોર્ટ આવવાના બાકી છે અને તેમને સિવિલ હોસ્પિટલના તબીબો દ્વારા સારવાર આપવામાં આવી રહી છે.




