હિંમતનગરના વિજાપુર રોડ પરના બે દુકાનદારોએ જાહેરનામાનો ભંગ કરતા ફરિયાદ

હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનની હદમાં આવેલ વિજાપુર તરફ જતાં રોડ પર ફ્રાયની દુકાન તથા એક અનાજની કંપનીમાં પરપ્રાંતિય શ્રમિકો રાખીને વહીવટી તંત્રને જાણ ન કરી જાહેરનામાનો ભંગ કરતા બંને વિરૂધ્ધ સોમવારે ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.આ અંગે ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા જે.એમ.રબારી તથા એસ.એમ.સોલંકીએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યા મુજબ હિંમતનગર ચિસ્તીયાનગર વિસ્તારમાં આવેલ પરબડામાં રહેતા અબ્બાસમીયા મહંમદમીયા શેખએ વિજાપુર રોડ પર આવેલ એક કોમ્પલેક્ષમાં ફ્રાય દુકાન ચલાવતા હતા. જયાં તેઓ પરપ્રાંતિયોને કામે રાખી તેમની ઓળખના પુરાવા સ્થાનિક પોલીસ તંત્ર સમક્ષ રજૂ ન કરતા અબ્બાસમીયા શેખએ કલેકટરના જાહેરનામાનો ભંગ કર્યો હોવાથી સોમવારે ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.તેજ પ્રમાણે ઇલોલ-પાણપુર જવાના રોડ પર આવેલ પટેલ ટ્રેડલીંક અનાજની કંપનીમાં જિલ્લા કલેકટરના જાહેરનામાનો ભંગ કરીને ૬ મજૂરોને પરપ્રાંતમાંથી બોલાવી તેમના ઓળખના તથા રહેણાંકના પુરાવાની માહિતી ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં રજૂ ન કરતાં તેમની વિરૂધ્ધ પણ જાહેરનામાના ભંગની ફરિયાદ દાખલ કરાઇ હતી.
જીગ્નેશ સોની હિંમતનગર




