સાબરકાંઠામાં કમોસમી માવઠાનો માર: સરકારની સાવચેતીની સૂચના વચ્ચે ખેડૂતોમાં ચિંતા

શીતલ ઠાકર,ગાંધીનગર
સાબરકાંઠા જિલ્લામાં કમોસમી માવઠાના કારણે ખેડૂતોમાં ચિંતાનો માહોલ સર્જાયો છે. હિંમતનગર, પ્રાંતિજ અને તલોદ તાલુકાના અનેક વિસ્તારોમાં ગુરુવારે મોડી સાંજે ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસતા ઉભા અને લણેલા પાકને નુકસાન થવાની ભીતિ ઊભી થઈ છે.

વિશેષ કરીને ઘઉંનો તૈયાર પાક ઘણા વિસ્તારોમાં સોથ વળી ગયો છે, જ્યારે કેટલાક ખેડૂતોનો લણેલો ઘઉં ખેતરમાં જ પલળી જતા નુકસાન સહન કરવું પડી રહ્યું છે. પલળેલા ઘઉંમાં કાળા ડાઘ પડવાની શક્યતા હોવાને કારણે બજારમાં તેવા અનાજને ઓછા ભાવ મળવાની પણ આશંકા છે.

ખેડૂતો કહે છે કે આખા સીઝનની અથાગ મહેનત બાદ પાક તૈયાર થયો હતો, પરંતુ ઉનાળાની શરૂઆતમાં જ આ કમોસમી વરસાદે તેમની મહેનત પર પાણી ફેરવી દીધું છે. હાલ ખેડૂતોને કોળીયો છીનવાયાની સ્થિતિનો સામનો કરવો પડી રહ્યો છે.

ઘઉં ઉપરાંત બટાકા લણતા ખેડૂતો પણ ચિંતિત બન્યા છે, કારણ કે વરસાદના કારણે લણણી પ્રક્રિયા પર અસર પડી છે અને પાકની ગુણવત્તા બગડવાની ભીતિ ઊભી થઈ છે.આ પરિસ્થિતિ વચ્ચે રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને સાવચેતી રાખવાની સૂચના આપવામાં આવી છે કે આગામી દિવસોમાં પણ માવઠાની શક્યતા રહેલી હોવાથી લણેલો પાક સલામત જગ્યાએ રાખવો, તાત્કાલિક ઢાંકી દેવા તેમજ જરૂરી સાવચેતીના પગલાં લેવા.




