વિશ્વ ક્ષય દિવસ નિમિત્તે સાબરકાંઠામાં જાગૃતિ રેલી અને ટીબી કીટ વિતરણ

શીતલ ઠાકર,ગાંધીનગર
સાબરકાંઠા જિલ્લામાં આજે વિશ્વ ક્ષય દિવસ નિમિત્તે વિવિધ આરોગ્યલક્ષી કાર્યક્રમો યોજાયા હતા. હિંમતનગર સ્થિત ટીબી સેન્ટર ખાતે લાભાર્થી દર્દીઓને ટીબી કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું તેમજ જનજાગૃતિ માટે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.

હિંમતનગરના ટીબી સેન્ટરમાં આશરે ૨૫ જેટલા ટીબી દર્દીઓને જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. રાજ સુતરીયાના હસ્તે ટીબી કીટ આપવામાં આવી હતી. નિકષય મિત્ર યોજના હેઠળ દર્દીઓને દવાઓ સાથે પોષણયુક્ત (ન્યુટ્રિશન) કીટ પણ ઉપલબ્ધ થાય તે માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી રહી છે.

સાબરકાંઠા જિલ્લામાં ટીબીના કેસોમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે. વર્ષ ૨૦૨૪ દરમિયાન ૪૭૧૯ કેસ નોંધાયા હતા, જ્યારે વર્ષ ૨૦૨૫માં આ આંકડો ઘટીને ૪૫૯૯ રહ્યો હતો. ચાલુ વર્ષ દરમિયાન અત્યાર સુધીમાં આશરે ૧૦૫૨ કેસ નોંધાયા છે. જિલ્લામાં આશરે ૯૪ ટકા દર્દીઓ સારવાર દ્વારા સંપૂર્ણ સ્વસ્થ થયા છે. જોકે દર વર્ષે સારવાર દરમિયાન આશરે ૧૦૮ થી ૧૨૦ દર્દીઓના મૃત્યુ નોંધાતા હોય છે, પરંતુ હાલ જિલ્લામાં મૃત્યુદરમાં સુધારો નોંધાયો છે.

વિશ્વ ક્ષય દિવસ નિમિત્તે હિંમતનગરમાં જનજાગૃતિ માટે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા રેલીને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. વિવિધ બેનરો સાથે શહેરમાં ફરેલી આ રેલીનું સમાપન ટીબી સેન્ટર ખાતે કરવામાં આવ્યું હતું.





