મિની વાવાઝોડા સાથે કમોસમી વરસાદ, સાબરકાંઠામાં શાકભાજી પાકને ભારે નુકસાન

સાબરકાંઠા જિલ્લામાં કમોસમી વરસાદે શાકભાજીના પાકમાં ભારે નુકસાન સર્જ્યું છે. ભારે પવન સાથે પડેલા વરસાદના કારણે પાકને નુકસાન થતાં બજારમાં શાકભાજીના ભાવમાં નોંધપાત્ર ઘટાડો થયો છે, જેના કારણે ખેડુતોને ભારે આર્થિક ફટકો લાગ્યો છે.


હવામાન વિભાગની આગાહી વચ્ચે સાબરકાંઠા જિલ્લામાં ગઈકાલે ભારે પવન સાથે કમોસમી વરસાદ વરસ્યો હતો. પ્રાંતિજ, તલોદ અને હિંમતનગર વિસ્તારમાં લગભગ એક ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો, જ્યારે અન્ય તાલુકાઓમાં ૦૮ એમએમથી અડધો ઈંચ વરસાદ વરસ્યો હતો. ભારે પવનના કારણે વેલાવાડી શાકભાજી પાકને ભારે નુકસાન થયું છે. ટામેટા, મરચા, રીંગણ અને દુધી જેવા પાકોના ભાવમાં ઘટાડો નોંધાતા ખેડુતોને ખર્ચ પણ કાઢવો મુશ્કેલ બની ગયો છે. અચાનક વધેલી આવકના કારણે બજારમાં ભાવમાં મંદી આવી છે. સાથે જ પાકના વેલા અને માંડવા પડી જતાં નુકસાન વધી ગયું છે.

ગઈકાલે સર્જાયેલા મિની વાવાઝોડા અને કમોસમી વરસાદના કારણે છોડ પર રહેલી શાકભાજી જમીન પર પડી ગઈ છે. જેના કારણે આજે હોલસેલ માર્કેટમાં મરચા, ટામેટા, દુધી અને રીંગણ જેવા પાકનો ભરાવો થયો છે. અચાનક વધેલી આવકને કારણે શાકભાજીના ભાવમાં ૩૦ થી ૫૦ ટકાનો ઘટાડો નોંધાયો છે, જેના કારણે ખેડુતોને મોટું નુકસાન થયું છે. વેપારીઓના જણાવ્યા મુજબ હાલ બજારમાં ખરીદદારોની અછત છે અને શાકભાજી વેચાઈ રહી નથી. વરસાદના કારણે છૂટક વેપારીઓનું માલ પણ અટવાઈ જતા માર્કેટમાં ભરાવો વધ્યો છે.

કુદરતી આફતો સામે હાલ ખેડુતો લાચાર બની ગયા છે. રોકડિયા પાક ઉપરાંત શાકભાજીના પાકમાં પણ ભારે નુકસાન થયું છે. કમોસમી વરસાદ અને મિની વાવાઝોડાના કારણે પાકના વેલા અને માંડવા પડી ગયા છે. હાલની પરિસ્થિતિને જોતા, આવનાર સમયમાં શાકભાજીના ભાવમાં વધારો થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.




