હિંમતનગર-પ્રાંતિજ હાઈવે પર જોગણી માતાના મંદિરમાં ચોરી, દાનપેટી તોડી રોકડ રકમની તસ્કરી

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરથી પ્રાંતિજ હાઈવે પર આવેલા દલપુર નજીકના પ્રસિદ્ધ જોગણી માતાના મંદિરમાં તસ્કરોએ ચોરીની ઘટનાને અંજામ આપ્યો છે. મોડીરાત્રે આવેલા બે અજાણ્યા યુવકોએ મંદિરમાં પ્રવેશ કરીને દાનપેટી તોડી અંદાજે દશેક હજાર રૂપિયાની રોકડ રકમની ચોરી કરી ફરાર થઈ ગયા હતા.
ઘટનાની સમગ્ર હિલચાલ મંદિરમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ હોવાનું સામે આવ્યું છે. સીસીટીવી ફૂટેજના આધારે બંને શખ્સોની ઓળખ મેળવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.
ચોરીની જાણ થતાં મંદિરના સંચાલકો અને સ્થાનિક લોકોમાં રોષ ફેલાયો હતો. બનાવ અંગે સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે ઘટનાસ્થળે પહોંચી પ્રાથમિક તપાસ શરૂ કરી છે. સીસીટીવી ફૂટેજના આધારે આરોપીઓને ઝડપી પાડવા માટે તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે.
આ ઘટનાને લઈને વિસ્તારમાં ચકચાર મચી છે અને સ્થાનિકોએ મંદિરો સહિત ધાર્મિક સ્થળોએ સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત બનાવવા માંગણી કરી છે. પોલીસે જણાવ્યું છે કે ઘટનાના તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને તપાસ આગળ વધારવામાં આવી રહી છે અને આરોપીઓને ઝડપી લેવા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.




