ગુજરાત
મુખ્યમંત્રી શુક્રવારે હિંમતનગર અને સલાલમાં જાહેરસભાને સંબોધશે

શીતલ ઠાકર,ગાંધીનગર
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના પ્રચારાર્થે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આજે હિંમતનગર અને પ્રાંતિજ તાલુકાના સલાલ ખાતે જાહેરસભાઓને સંબોધશે. જિલ્લા ભાજપ દ્વારા બંને સ્થળોની તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે.
મળતી માહિતી મુજબ મુખ્યમંત્રી આજે પહેલા હિંમતનગર પહોંચશે, જ્યાં નગરપાલિકા વોર્ડ નં. ૧માં ભાજપ ઉમેદવારોના પ્રચાર કાર્યાલયનું ઉદ્ઘાટન કરશે અને કાર્યકરો સાથે મુલાકાત કરશે. ત્યારબાદ નરનારાયણ તાબાના સ્વામિનારાયણ મંદિરમાં સામાજિક અને સહકારી ક્ષેત્રના આગેવાનો સાથે ચર્ચા કરશે.
પછી હિંમતનગરના હડિયોલ રોડ પર આવેલા ખાનગી પાર્ટી પ્લોટમાં જાહેરસભાને સંબોધશે. ત્યારબાદ પ્રાંતિજ તાલુકાના સલાલ-સોનાસણ ચોકડી પાસે આવેલા મેદાનમાં બીજી જાહેરસભાને સંબોધ્યા બાદ ગાંધીનગર જવા રવાના થશે.




