સાબરકાંઠામાં ચાંદીપુરા વાયરસને લઈને તંત્ર એલર્ટ : હિંમતનગર સિવિલમાં ધારાસભ્ય વી.ડી. ઝાલાએ સારવાર વ્યવસ્થાની કરી સમીક્ષા

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ચાંદીપુરા વાયરસના દર્દીઓ સામે આવવાના મામલે હિંમતનગરના ધારાસભ્ય વી.ડી. ઝાલાએ સિવિલ હોસ્પિટલની મુલાકાત લઈને સારવાર વ્યવસ્થાની સમીક્ષા કરી હતી. તેમણે હોસ્પિટલના સ્પેશિયલ વોર્ડમાં મેડિકલ ઓફિસર અને આરએમઓ સાથે બેઠક કરી દર્દીઓની સારવાર, ઉપલબ્ધ સુવિધાઓ અને તંત્ર દ્વારા લેવામાં આવી રહેલી કામગીરી અંગે વિગતવાર માહિતી મેળવી હતી.
ધારાસભ્યએ સારવાર લઈ રહેલા બે બાળ દર્દીઓ તથા તેમના પરિવારજનોની મુલાકાત લઈ તેમની સ્થિતિ અંગે જાણકારી મેળવી હતી અને સારવાર માટે જરૂરી તમામ સહાય ઉપલબ્ધ કરાવવાની ખાતરી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે સારવાર અને દર્દીઓની સ્થિતિ પર સતત નિરીક્ષણ રાખવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે ચાંદીપુરા વાયરસના લક્ષણો ધરાવતા ત્રણ બાળકોના મોત નીપજ્યા હતા. હાલમાં સિવિલ હોસ્પિટલમાં વધુ એક બાળકનો ચાંદીપુરા વાયરસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે, જ્યારે અન્ય એક દર્દીનો રિપોર્ટ હજુ પેન્ડિંગ છે.
આ ઉપરાંત ધારાસભ્યએ ગ્રામ્ય વિસ્તારોમાં બાળકોના આરોગ્યને ધ્યાનમાં રાખી સ્વચ્છતા જાળવવા જનજાગૃતિ લાવવા તેમજ જરૂરી તકેદારી રાખવા માટે આરોગ્ય તંત્રને સૂચનાઓ આપી હતી.




