પ્રાંતિજ ગોસ્વામી સમાજનો વિદ્યાર્થીઓને સન્માન, શૈક્ષણિક ભવન માટે રૂ.૧૨ લાખથી વધુની સહાય

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના દશનામ ગોસ્વામી સમાજ દ્વારા હિંમતનગર સ્થિત જાગા સ્વામી હોલ ખાતે ધોરણ ૧૦ અને ૧૨માં ઉત્તમ પરિણામ મેળવનાર વિદ્યાર્થીઓના સન્માનાર્થે ઈનામ વિતરણ તથા ચોપડા વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં તેજસ્વી વિદ્યાર્થીઓને ઇનામો આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા તેમજ વિદ્યાર્થીઓને શિક્ષણ પ્રત્યે પ્રેરણા મળે તે હેતુથી ચોપડાઓનું પણ વિતરણ કરાયું હતું.
કાર્યક્રમ દરમિયાન સમાજના આગેવાનો, વાલીઓ અને જ્ઞાતિજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. પ્રસંગે સમાજના અધ્યક્ષ અને મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના કમાણા ગામના ૧૦૦૮ મહંત અમરભારથીજી, ઉપાધ્યક્ષ ભરતગીરી બબુગીરી ગોસ્વામી, જિલ્લા ગોસ્વામી સમાજના પ્રમુખ રાજેન્દ્રગીરી ગોસ્વામી સહિત પ્રદેશ, જિલ્લા અને તાલુકા સ્તરના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમનું આયોજન પ્રાંતિજ તાલુકા ગોસ્વામી સમાજના અધ્યક્ષ પ્રકાશગીરી ગોસ્વામી તથા મહામંત્રી મહેન્દ્રગીરી ગોસ્વામીની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે પ્રાંતિજ તાલુકા ગોસ્વામી સમાજના શૈક્ષણિક ભવન નિર્માણ માટેનો મહત્વપૂર્ણ પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો. સમાજના આગેવાનો અને દાતાશ્રીઓએ ભવન નિર્માણ માટે રૂ.૧૨ લાખથી વધુની આર્થિક સહાય જાહેર કરી સમાજના શૈક્ષણિક વિકાસ માટે સંકલ્પ વ્યક્ત કર્યો હતો.




